|
Viewing 1 - 3 out of 3 Blogs.
પહેરવેશ રબારી જ્ઞાતિનો પહેરવેશ અને અલંકારો ધ્યાન ખેંચે તેવા છે. પુરુષોનો પહેરવેશ જોઈએ તો ચોરણી, ધોતીયું, કેડિયું, બંડી, મેલખાયું, એક ખેસડી વડે ભેટવાળે અને એક ખેસડી અથવા ધાબળો ખભે હોય, હાથમાં કૂંડલી વાળી લાકડી હોય તેમના કેડિયાની લંબાઈ પ્રદેશ મુજબ લાંબી ટૂંકી હોય છે. અમુક પ્રદેશમાં માથા ઉપર પાઘડી અથવા ગરમ ટોપી પહેરે છે. દેશી ઢબના વજનદાર બૂટ પહેરે છે. સ્ત્રીઓનો પહેરવેશ ઉંમર મુજબ બદલાઈ જતો હોય છે. નાની છોકરીઓ ચોળી-ચણીયો પહેરે છે. યુવાન સ્ત્રીઓ ચૂંદડી, ચણીયો અને બ્લાઉઝ પહેરે છે. લગ્ન પછી જીમી(બાંધણો), કાપડું, ક્યારેક કપટોળું તો ક્યારેક ચૂંદડી ઓઢે છે. અમુક પ્રદેશમાં ભરત ભરેલા કપડાં વિષેશ પ્રમાણ માં પહેરવામાં આવે છે. (કચ્છ) ભદ્ર સમાજ ના સંમ્પર્કમા આવવાથી અને શૈક્ષણીક જાગૃતિ આવતા પહેરવેશમાં મોટા પાયે બદલાવ આવ્યો છે. અલંકાર પુરુષોના અલંકારો માં મોટે ભાગે કાનમાં કોકરવા (ઠોળીયા), ફૂલ, ચાપવા ડોકમાં ચાંદીની હીરાકંઠી, સોનાનો ચેઈન હાથમાં ચાંદી ના કડા, હાથની આંગળીઓમાં ચાંદીના જુદી જુદી ડીઝાઈનના કરડા અને વેઢ, દાણા વાળી વીંટી, બંડીમાં ચાંદીના બટન, કેડે ચાંદીનો કંદોરો પહેરે છે. જ્યારે સ્ત્રીઓ ના અલંકારોમાં મુખ્યત્વે કાનમાં ઠોળીયા, વેઢલા, કોકરવા, બુટી, ડોકમાં ઓમકાર પાંદડૂ, ડૂવાસર, કાંઠલી, હાંસડી, બરઘલી, ચાંદીની કંઠી નાકમાં નથડી, દાણો હાથમાં કળંદીયા, કડલીઓ, પોચોં, લોકીટ પગમાં ઝાંઝરી, છડા, ખાંપીયા વગેરે પહેરવામાં આવે છે. જેમા હાલ માં સમય મુજબ બદલાવ જોવામાં આવે છે.
પૌરાણિક વાતો પ્રમાણે ભગવાન શંકરે (Lord SHIVA) તેમની પાંચ પગવાળી સાંઢ(ઊટ)ને ચારવા માટે સમળાના ઝાડની છાલમાંથી રબારીને ઉત્પન્ન કર્યો અને સમળાના ઝાડના નામ પરથી ભગવાન શંકરે તેનુ નામ સામળો રાખ્યુ કે તેની મુળ શાખ સાંબોળ રાખી તે સામળાને સાત દિકરીઓ હતી અને તે સાતે દીકરીઓના વિવાહ ભગવાન શંકરે રાજપુત કુળમાં કર્યા હતા. અને તે રાજપુતો ઘર જમાઈ તરીકે સ્વીકારી પોતાની પાસે વસાવ્યા. ત્યાર બાદ આ દિકરીઓનો જે વંશવેલો વધ્યો તે મુજબ, જે દિકરી જે રાજપુત સાથે પરણાવી હતી તેના બાળકોની શાખ જે તે રાજપુતના કુળ પ્રમાણે (મકવાણા, રાઠોડ, સોલંકી, પરમાર) અંકાવા લાગી. અને ત્યાર બાદ એકબીજાની ઓળખાણ પણ તે મુજબ થવા લાગી. આ રાજપુત શાખો માંથી જેમ જેમ રબારી જ્ઞાતિનો વંશવેલો વધતો ગયો તેમ તેમ સ્થળાંતર કરવા લાગ્યા અને ગામોના નામ ઉપરથી અને બીજી ઘણી રીતે રબારીની શાખાઓમાંથી અનેક પેટા શાખો વધતી ગઈ. અને ત્યાર બાદ હાલમાં કુલ ૧૩૩ પેટા શાખા થઈ છે. એટલે જ રબારી સમાજને હાલ 'વીસોતેર નાત' તરીકે ઓળખવામાં આવે છે. વીસોતેર એટલે વીસ + સો + તેર =૧૩૩ એવો અર્થ થાય છે.  વિસોતેર રબારી સમાજની કુલ ૧૩૩ પેટાશાખ આ મુજબ છે. કટારિયા, કબોતરા, કાછોળ, કાછેલા, કાનકટા, કારસિયા, કાબોર, કેડ, કુકોહ, કુંભાર, કોમરા, કોલા, ખડોર, ખટાણા, ખાંભલ્યા, ખાર, ખારવાણિય, ગરછોળ, ઘરમરીયા, ઘાટિયા, ઘાટેતેર, ઘાંઘવા, ઘાંઘોડ, ઘાટરિયા, ઘાંઘારિયા, ઘેલોચર, ઘેળોત્તર, ચરમટા, ચરકટા, ચમરિયા, ચાવડા, ચાનબીડા, ચેલાણા, ચૌહાણ, જાદવ, જાજાળા, જેઠા, જેહ, જેઠવા, જોટાણા, ઝિયોડ, ટલુકા, ટભારિયા, ડાભી, ડિયા, ઢઘોલ, ઢેંચવા, ઢેચોતર, ઢોકરીયા, દાંકીયા, દેવ, દોદળા, દેવરા, દેવરિયા, નાગોર, નાવોર, નાંદવા, નાંદલિયા, નેહ, પના, પરમાર, પરવરિયા, પદવાડા, પઢાર, પાટવાળ, પૂંછલ્યા, બલ્યા, બારેચ, બોરડ, બાર, બુચોતર, ભડસ્મા, ભારઈ, ભાઠી, ભાટરીયા, ભુંગોળા, ભૂખ્યા, ભૂંભળિયા, ભુંદરે, ભુંડ, ભેજા, ભોકું, મકવાણા, મારૂચા,મેર, મેહ, મોટણ, મોરડાવ, મોરી, મોટું, રન્જયા, રજ્યા, રાજીયા, રાઠોડા, રાંણવા, રૂવારા, રૂણેચા, રૂડેયા, રોહિયા, રોઝિયા, લવ, લલુતરા, લળતુકા, લૂણી, લોઢા, લોહ, લોક, વણોતરા, વાતમા, વાઘેયા, વેજોલ, વેગડોર, શિલોરા, શેઠા,શેખા, સવઘોર, સાવધરીયા, સાંબોળ, સેવાળ, સેધિયા, સોલંકી, હડિયોલ, હાથોલ, હુચોલ, હૂણ, અચવા, અજોણા, અવછારિયા, આલ, આંબોઘરા, આબોચર, ઈહોર, ઉમોટ, ઉજોડા, ઉલવા, આમાંથી મોટા ભાગની શાખ આજે ગુજરાત અથવા ગુજરાત બહાર હયાત છે. શક્ય છે કે હાલમાં આમાથી બે-પાંચ શાખાનો ક્ષય થયો હોય.  મુળ ૧૩૩ શાખ માંથી અપભ્રંશ થતા કે જે તે ગામ કે પ્રદેશ ના નામ ઉપરથી નવી શાખો હાલમાં અસ્તીત્વમાં આવી છે તે આ મુજબ છે. કરડ, ઢગલ, ખાંભલા, દેસાઈ, મર્યા, ટરમટા, ટમાલીયા, હરણ, પઢેરીયા, કલોત્રા, નાંઘા, ભાડકા, કોડીયાતર, શીવાળીયા, ઉમલીયા, કાગડા, ગુજર વગેર
રબારી, રાયકા, ગોપાલક કે દેસાઈના નામે ઓળખાતી આ જાતિ મેર, આહીરની જેમ મુળ રાજપુત જાતિમાંથી ઉતરી આવી છે તેવો ઘણા વિદ્વાનોનો મત છે. રબારી ને રાયકા, દેસાઈ, દેવાસી, ધનગર, પાલ, હીરાવંશી, કુરુકુરબા, કુરમા, કુરબરુ, ગડરિયા, ગાડરી, ગડેરી, ગદ્દી, બધેલ ના નામે પણ ઓળખવામાં આવે છે. આ જાતિ ભલી ભોળી અને શ્રધ્ધાળુ હોવાથી દેવો નો વાસ તેમા રહેલો છે તેથી ( કે દેવના વંશજો હોવાથી ) આ જાતિ દેવાસી ના નામે પણ ઓળખાય છે. રબારી શબ્દ મૂળ 'રવડ' શબ્દમાંથી ઉતરી આવ્યો છે. રેવડ એટલે 'ઢોર યા પશુ' યા ઘેંટા નું ટોળું. અને પશુઓના ટોળાને રાખનાર યા સાચવનાર 'રેવાડી' તરીકે ઓળખાતો અને અપભ્રંશ થતાં આ શબ્દ 'રબારી' તરીકે અસ્તિત્વમાં આવ્યો. રબારી આખા ભારતમાં ફેલાયેલા છે. વિશેષ કરીને ઉત્તર, પશ્વિમ અને મધ્ય ભારતમાં એમ તો પાકિસ્તાનમાં પણ આશરે ૮,૦૦૦ રબારી હોવાના સમાચાર મળે છે. રબારી જાતિનો ઇતિહાસ બહુજ જુનો છે પણ શરુઆતથીજ પશુપાલન નો મુખ્ય વ્યવસાય અને ભટકતુ જીવન હોવાથી કોઈ આધારભુત ઐતિહાસિક ગ્રંથ લખાયો નથી. અને અત્યારે જે કાંઈ ઇતિહાસ મળે છે તે દંતકથાઓ ઉપર આધારીત છે માનવ વસ્તીથી હંમેશા દૂર રહેતા હોવાથી રબારી સમાજ સમય સાથે પરિવર્તન પામી શક્યો નથી. અત્યારે પણ આ સમાજમાં રિતરીવાજ, પોશાક, ખોરાક જેમનો તેમ જ રહ્યો છે. ૨૧ મી સદીમાં શિક્ષિત સમાજના સંમ્પર્કમાં આવવાથી શિક્ષણ પ્રાપ્ત કરવાથી સરકારી નોકરી, વ્યાપાર ઉદ્યોગ, ખેતી વગેરે જરૂર અપનાવ્યા છે.  દરેક જાતિની ઉત્પત્તિ વિશે જેમ ભિન્ન મત હોય છે તેમ આ જાતિ વિશે પણ જુદા જુદા મત હોઈ શકે છે. પૌરાણિક વાત એવી છે કે જ્યારે ભગવાન શિવજી હિમાલયમાં તપ કરતા હતા ત્યારે મા પાર્વતીએ મન બહેલાવવા માટે માટી માથી ઉંટની આકૃતિ બનાવીને રમવા લાગ્યા. આ ઉંટને પાંચ પગ હતા. પાર્વતીજીએ શિવજીને આ આકૃતિમાં જીવ પૂરવાની જીદ કરી. ભોળા શંભુએ તથાસ્તુ કહ્યુ. પછી આ ઉંટને ચરાવવાની સમસ્યા ઉભી થઈ, ત્યારે શિવજીએ માં પાર્વતીના કેહેવાથી ઉંટની સંભાળ રાખવા માટે એક માણસ ઉત્પન્ન કર્યો તે હતો પ્રથમ રબારી. આ માણસે દેવલોકની અપ્સરા અથવા હિમગિરીની કોઈ દેવી સાથે લગ્ન કર્યુ. (એક દંતકથા મુજબ 'રઈ' નામની અપ્સરા સાથે લગ્ન કર્યા જેનો વંશ 'રાયકા' ના નામથી ઓળખાયો). તેને ચાર પુત્રીઓ થઈ. એ ચાર પુત્રીઓનાં લગ્ન હિમાલયમાં રહેતી જુદી જુદી રજપુત(ક્ષત્રિય) જાતિના પુરુષો સાથે થયાં, અને એ ચારે પુરુષોની જે સંતતિ થઈ એ હિમાલયના નિયમ બહારનાં લગ્ન હોવાથી એ પ્રજા રાહબારી કે રબારીના નામથી ઓળખાવા લાગી. એક માન્યતા પ્રમાણે, મક્કા-મદીનાના વિસ્તારોમાં મહમ્મદ પયંગબર સાહેબ પહેલાં જે અરાજકતા પ્રવર્તતી હતી જેના કારણે મૂર્તિ પૂજાનો વિરોધ થયો અને પરિણામે આ લોકોને પોતાનો ધર્મ બચાવવો મુશ્કેલ થતાં પોતાના દેવી-દેવતાઓને પાલખીમાં લઈને હિમાલયના વિસ્તારોમાંથી ભારતમાં પ્રવેશી હશે. (હાલમા પણ રબારી લોકો પોતાના દેવી-દેવતાને મૂર્તિરૂપે પ્રસ્થાપિત કરતાં નથી પરંતુ પાલખીમાં રાખે છે.) તેમાં હૂણ અને શકના ધાડા સામેલ હતાં. રબારી જ્ઞાતિમાં આજે પણ ઘણા હૂણ અટક ધરાવે છે તે ઉપરથી એવું અનુમાન થઈ શકે કે હૂણ રબારી જ્ઞાતિમાં ભળી ગયા હોય. એક મત એવો છેકે ભગવાન પરશુરામે પૃથ્વીને એકવીસ વખત ક્ષત્રિહોવિહિન કરી ત્યારે ૧૩૩ જેટલા ક્ષત્રિયોએ પરશુરામના ડરથી ક્ષ્રાત્રધર્મ છોડી પશુપાલનનું કાર્ય સ્વીકાર્યુ. તેથી તેઓ 'વિહોતર' તરીકે ઓળખાયા. વિહોતેર એટલે ૨૦+૧૦૦+૧૩=૧૩૩. ભાટ,ચારણ અને વહીવંચાઓના ગ્રંથો પ્રમાણે મૂળ પુરુષને સોળ પુત્રીઓ થઈ અને તે સોળ પુત્રીના લગ્ન સોળ ક્ષત્રિય કુળના પુરુષો સાથે થયાં. જે હિમાલયના નિયમ બહારની લગ્નવિધિથી થયેલાં હોઈ, સોળની જે સંતતિ થઈ તે રાહબારી અને પાછળથી રાહબારીનું અપભ્રંશ થવાથી રબારીના નામથી ઓળખાવા લાગી. ત્યાર પછી સોળની જે સંતતિ થઈ તે એકસો તેત્રીસ શાખામાં વહેચાઈ ગઈ, જે "વિશા તેર" (વિશોતેર) નાત એટલે કે એકસો વીસ અને તેર તે રીતે ઓળખાઈ. પ્રથમ આ જાતિ રબારી તરીકે ઓળખાઈ, પરંતુ પોતે રાજપુત્ર કે રાજપુત હોવાથી રાયપુત્રના નામે અને રાયપુત્રનું અપભ્રંશ થવાથી 'રાયકા' ના નામે , ગાયોનું પાલન કરતાં હોવાથી 'ગોપાલક' ના નામે, મહાભારતના સમયમાં પાંડવોનું અગત્યનું કામ કરવાથી 'દેસાઇ' ના નામે પણ આ જાતિ ઓળખાવા લાગી. પૌરાણિક વાતોમાં જે હોય તે, પરંતુ આ જાતિનું મૂળ વતન એશિયા માયનોર હશે કે જ્યાંથી આર્યો ભારતમાં આવ્યા હતા. આર્યોનો મૂળ ધંધો પશુપાલન અને તેઓ 'ગોય' જાતિના હતા. તે જ રીતે રબારી જાતિનો ધંધો પશુપાલન છે અને તેઓ ગોય જાતિના છે એટલે જ આ જાતિ પણ આર્યોની સાથે જ ભારતમાં આવી હશે તેવુ અનુમાન કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ ગોવાળો સાથે મથુરાથી નીકળી દ્વારિકા આવવા નીકળ્યા ત્યારે ચાલતા ચાલતા હાલારનો મચ્છુ કાંઠો દેખાયો. આ હરિયાળી ભોમકા જોઈને ગોવાળ-ગોવાલણોનાં મન નાચી ઉઠ્યાં અને શ્રીકૃષ્ણને કહી દીધું કે "હે માધવ! હવે અમે આગળ એક ડગલુંય ભરવા માંગતા નથી. દ્વારકાનું રાજ તો શું, પણ ઇન્દ્રાસન અપાવો તોય અમારે આગળ આવવું નથી." શ્રીકૃષ્ણે વાત પામી જઈ આહીરો અને રબારીઓની છાતીમાં એક એક ધબ્બો મારી વરદાન દીધું કે "જાઓ, નાદાનો! આપણી લેણદેણ પુરી થઈ, પરંતુ મારામાં વિશ્વાસ રાખશો તો તમારી તેગે અને દેગે હાજર રહીશ. તમારી તલવારને લાજવા નહીં દઉં અને રોટલો (ભોજન) ખૂટવા નહીં દઉં." આજે પણ આહીરની અજોઢ તલવાર અને રબારીનો રોટલો અજોડ છે. ( જુઓ "સૌરાષ્ટ્રની રસધાર" તેગે અને દેગે.) ઐતિહાસીક પૂરાવાઓઃ- રબારી જાતિનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો હોવા છતાં છેક મહાભારતયુગથી મધ્ય(રાજપુત) યુગસુધી રાજામહારાજાઓના ખાનગી સંદેશા પહોંચાડવાનું કામ તેમજ બહેન-દીકરી અને પુત્રવધુઓને તેડવા કે મૂકવા માટે અતિવિશ્વાસપૂર્વક રબારીનો જ ઉપયોગ કરવામાં આવતો તેવા અનેક પ્રસંગો ઇતિહાસના પાને નોંધાયા છે. પાંડવો પાસે અનેક માણસો હોવા છતાં મહાભારતના યુધ્ધ ના સમયે વિરાટનગરીથી હસ્તિનાપુર રાતોરાત સાંઢણી ઉપર સાડા ચારસો માઈલનું અંતર કાપી ઉત્તરાને હેમખેમ પહોંચાડનાર રત્નો રખેવાળ રબારી હતો. ભારત ઉપર મહંમદ ગઝનવીએ આક્રમણ કર્યુ ત્યારે તેનો વીરતાપૂર્વક સામનો કરનાર, મહારાજા હમીરદેવનો સંદેશો ભારતના તમામ રાજવીઓને પહોંચાડ સાંઢણી સવાર રબારી જ હતો. જૂનાગઢના વયોવૃધ્ધ ઇતિહાસકાર ડો.શંભુપ્રસાદ દેસાઈએ નોંધ્યુ છેકે વેરાવળનો એક બળવાન રબારી હમીર મુસ્લિમોના અતિશય ત્રાસની સામે ' ખુશરો ખાં ' નામ ધારણ કરી સૂબો બન્યો હતો જે પાછળથી દિલ્હીની ગાદી પર બેસી સુલતાન બન્યો હતો. પાટણના ચાવડા વંશની ગાદી દુશ્મનો પાસેથી પાછી મેળવી. વનરાજ ચાવડાને સિંહાસન પર બેસાડનાર અનોભાઈ ઉલ્વો રબારી જ હતો. બરડાની રાજગાદી ગુમવનાર જેઠવા વંશના રાજકુમાર અને રાજમાતા કલાંબાઈને આશરો આપી, પોતાના સેંકડો યુવાનોનાં માથાં રણભુમિમાં સમર્પણ કરી ગાદી પાછી અપાવનાર રબારી જ હતા. એક માન્યતા પ્રમાણે જૂનાગઢમાં રા'નવઘણની બારી સામે વસ્યા એટલે 'રા'બારી કહેવાયા અને તેનો અપભ્રંશ 'રબારી' થયો.  વિદ્વાનોનો મતઃ- જામનગર ગેઝેટીયરના પ્રમાણે રબારીઓ મૂળ રાજપૂત હતા. પણ એમાંનો એક પુરૂષ રાજપૂત કન્યા સાથે ન પરણતાં બીજી જ્ઞાતિની કન્યા સાથે પરણ્યો તેથી તેના વંશજો હવે રાજપૂત કન્યાને પરણી શકતા નથી. એટલે તેઓ રાહબારી (રૂઢિ રિવાજ અનુસાર ન ચાલનાર/રસ્તો ચાતરનાર) કહેવાયા. 'ધી હિસ્ટ્રી ઓફ કાઢિયાવાડ' માં કેપ્ટન વીલબેર ફોર્સ નોંધે છે કે, રબારીઓ ઉત્તર ભાગમાં હસ્તિનાપુરથી દિલ્હી આવીને વસ્યા. ત્યાંથી તેઓ બરડાનાં ડુંગરમાં ગયા. ત્યાં તેઓ બર્બરથી ઓળખાયા. આ લોકોના આગમન પછી જ આ ડુંગરાળ પ્રદેશને, બરડા નુ નામ મળ્યુ હોય એમ માનવા પ્રેરે છે. ઇતિહાસવિંદ પુષ્કર ચંદરવાકરની નોંધ પ્રમાણે 'આ જાતિઓ એ ગોકુળ-મથુરામાંથી મારવાડમાં સ્થળાંતર કર્યુ અને મારવાડમાંથી ગુજરાતમાં આવ્યા હતા.' રત્ન મણિરામ જોટે તેમના 'ખંભાતનો ઈતિહાસ' માં લખે છેકે કાઠિયાવાડમાં વસતા આહીર,રબારી અને કાઠી લોકો નાગ જાતિ માંથી ઉતરી આવ્યા છે. સને ૧૯૦૧માં લખાયેલા 'બોમ્બે ગેઝેટિયર' માં લખ્યુ છેકે રબારીઓનું ખડતલપણું જોતા કદાચ તેઓ "પર્શિયન" વંશના પણ હોય શકે અને કદાચ પર્શિયાથી ભારતમાં આવ્યા હોય કારણ કે રબારીઓમાં એક 'આગ' નામની શાખ છે. ને પર્શિયનો 'આગ-અગ્નિ' ના પૂજકો છે. આ જાતિ બલુચિસ્તાનમાંથી આવી હશે. અને બલુચિસ્તાનમાંથી સિંધમાં થઈ મારવાડ-રાજસ્થાન અને ત્યાથી સમગ્ર ભારતમાં ફેલાઈ હશે. રબારી કોમમાં પૂજાતા હિંગળાજ માતાનું મુળ સ્થાનક આજે પણ બલુચિસ્તાનમાં છે. સિકોતેર માતાનું મૂળ સ્થાનક પણ સિંધમાં હતુ. દુલેરાય માટલીયા પોતાના પુસ્તક 'ગોપાલ દર્શન' મા જણાવે છે કે,"રબારીઓના બે વર્ગ જોવા મળે છે. એક મુંગી માતા મોમાઈના ઉપાસક સોરઠીયા રબારીઓ જેઓ મુખ્યત્વે ઘેટાં બકરાનો પાલન કરનારા, જ્યારે ઝાલાવાડ અને ઉત્તર ગુજરાતના રામકૃષ્ણના ઉપાસક દેસાઈ રબારીઓ, બન્ને ભિન્ન વંશકુળના છે. આમાંના સોરઠીયા રબારીઓ 'હૂણ' પ્રકારના વંશના હોવાની શક્યતા છે.જ્યારે દેસાઈ રબારીઓ ગુર્જરવંશના છે. બન્નેના શારીરિક લક્ષણોથી આ પ્રકાર ફાળવી શકાય. " પણ ઉપરોક્ત કથન કરતાં હકિકત જુદી છે. બન્ને રબારી મૂળ એક જ કુળ કે વંશના છે. પરંતુ બે-ત્રણ હજાર વર્ષ પહેલા છૂટા પડેલા જણાય છે.
|